ધ્યાનનું રહસ્ય: ધ્યાન એ આત્માનો ખોરાક છે

આપણે પોતાની જાતને ધ્યાન માટે કેવી રીતે તૈયાર કરીએ ? ઘર જેવું વાતાવરણ સમજીને ,સહજ બનીને. જો તમે બહુ જ ઔપચારિક છો તો તમે ધ્યાન ન કરી શકો. ધ્યાન અનૌપચારિક અને ઘર જેવું વાતાવરણ ઈચ્છે છે.

આજે આપણે  વિવિધ જાતના ધ્યાન વિશે અને આપણે શા માટે ધ્યાન કરવું જોઇએ?’, તે વિશે જાણીશું. આપણે સફળ રીતે ધ્યાન કેવી રીતે કરી શકીએ?

દરેક વ્યક્તિએ ધ્યાન કરવાની જરૂર છે. કારણ કે મનુષ્ય જીવનનું સ્વાભાવિક વલણ છે કે તે આનંદ કે જે ક્યારેય ઘટે નહી, પ્રેમ કે જે ક્યારેય વિકૃત ન થાય, અથવા નકારાત્મક લાગણીમાં બદલાઇ  ન જાય તેવું ઈચ્છે છે.

શું ધ્યાન બહારનું તત્વ છે ? ના, જરાય નહી . તમે તમારો જન્મ થયો એ પહેલાનાં ૨ મહિનાથી ધ્યાન કરો છો. તમે માતાના ગર્ભમાં કંઈ કરતા ન હતા, તમે તમારો ખોરાક પણ ચાવતા ન હતા, તે સીધું જ તમારા પેટમાં પ્રવેશતું  હતું અને તમે ત્યાં ખુશીથી તે પ્રવાહીમાં તરતા, પલટાતા, અને લાતો મારતા મજામાં હતા. ક્યારેક અહીંયા તો ક્યારેક ત્યાં. આ ધ્યાન છે. તમે કશું જ કર્યું નથી. બધું જ તમારા માટે આપોઆપ કરવામાં આવ્યું હતું. તેથી જ તો દરેક મનુષ્યને , દરેક આત્માને પૂર્ણ આરામની ઝંખના હોવી તે તેની સ્વાભાવિક વ્રુતિ છે. તમે જાણો છો? શા માટે તમે આરામ કરવા માંગો છો?  કારણ કે એક સમયે તમે સંપુર્ણ આરામદાયક સ્થિતિમાં હતા. તમે જે આરામની અવસ્થાનો  અનુભવ કર્યો  છે, તેને  ધ્યાન કહે છે. ધ્યાન  પૂર્ણ વિશ્રામ છે.

આ ધાધંલ ધમાલવાળા વિશ્વમાં આવતા પહેલાં તમે જે  અવસ્થાનો અનુભવ કરી ચુક્યા છો, તેમાં પાછા જવાની વૃતિ હોવી એ બહુ સ્વાભાવિક છે. કારણકે આ બ્રહ્માંડમાં બધું જ વર્તુળાકારમાં ભમે છે, ફરે છે. દરેકને પાછું તેના સ્ત્રોત તરફ જવું છે.  આ જ તો સમગ્ર  વિશ્વની પ્રકૃતિ છે, સ્વભાવ છે.

પાનખર દરમિયાન, પાંદડા નીચે  પડી અને પાછા જમીનમાં  જાય છે અને કુદરત પોતાની રીતે તેમને પુનર્જીવીત કરે  છે.  તમારા જીવનના દરેક દિવસની છાપ જે  તમે એકઠી કરી છે તેનાથી છુટકારો મેળવવા માટે અને તમે આ ગ્રહ પર  જે સ્થિતિમાં  આવ્યા હતા તે મૂળ સ્થિતિને પાછી લાવવા માટેની  જે કુદરતની રીત છે તે ધ્યાન છે. નિર્મળ બનવું અને જીવંત રહેવું એ ધ્યાન છે. શાંતિ અને સ્વસ્થતા જે તમારો મૂળ સ્વભાવ છે તેમાં પાછા આવવું એ ધ્યાન છે. સંપૂર્ણ આનંદ અને પ્રસન્નતા એ ધ્યાન છે.

ઉશ્કેરાટ વિનાનો આનંદ એ ધ્યાન છે. ચિંતા વીનાનો રોમાંચ એ ધ્યાન છે. દ્વેષભાવ વિનાનો પ્રેમ એ ધ્યાન છે.
ધ્યાન એ આત્માનો ખોરાક છે. ખોરાક માટે કુદરતી તડપ હોય છે. તમે જ્યારે ભૂખ્યા થાવ છો કે તરત જ કશુંક ખાઇ લ્યો છો. તમે તરસ્યા થાવ ત્યારે તમને પીવા માટે પાણી જોઇએ છે. એવી જ રીતે આત્માને ધ્યાન કરવાની ઉત્કટ ઇચ્છા હોય છે, અને આ વૃત્તિ દરેકે દરેકમાં  હોય  છે.

આ પ્રુથ્વી પર  એવી કોઈ વ્યક્તિ નથી  જે  જીજ્ઞાસુ  ન હોય. બસ તેમને તેની ખબર નથી. તેઓને  તેની ઓળખ નથી . આપણે ખોરાકને તે જ્યાં નથી ત્યાં શોધીએ છીએ અને  આ  જ તો મુશ્કેલી  છે.

શ્રી શ્રી રવિશંકરએ 20 એપ્રીલ  2012 કેલીફોર્નીયામાં આપેલ વાર્તાલાપધ્યાનનુ રહસ્ય’ પર આધારિત.

આપણે ધ્યાન કરી શકિયે એવા માર્ગો >>