ધ્યાન અને નિદ્રા : સમાન છતાં અલગ (Tips for Good Sleep in Gujarati)

મને ખુબ થાક લાગ્યો છે; મારે થોડી વાર સૂઈ જવું પડશે. આવું વિચારવું આપણા માટે સ્વાભાવિક નથી? છતાં એવું બીજું કઈક છે જે આપણને  ગાઢ વિશ્રામ આપે અને ફરીથી ઉર્જાન્વિત કરે? પ્રાણઊર્જા મેળવવાના ચાર સ્રોત છે, જેમાંથી નિદ્રા એક છે અને ધ્યાન બીજો. ધ્યાન અને નિદ્રામાં કેટલુક સામ્ય છે છતાં બન્ને બહુ અલગ છે.

આપણે જોઈએ કેવી રીતે

#1 ઊર્જાના સ્રોતને નિયંત્રિત કરીને

આપણને નિદ્રા કરતાં ધ્યાન દ્વારા ઘણી વધારે ઊર્જા મળે છે. શ્રી શ્રી રવિશંકરજી કહે છે,”ધ્યાન કરવાથી તમે ઊર્જાનો એક આંતરિક સ્રોત ઉત્પન્ન કરીને  તમારા શરીરને એક પાવરહાઉસમાં પરિવર્તિત કરી શકો છો.”.

#2 ગાઢ  વિશ્રામ

ધ્યાન અને નિદ્રા બંન્ને ગાઢ વિશ્રામ આપે છે. પરંતુ ધ્યાનથી મળતા આરામની ગુણવત્તા વધારે ગહન હોય છે. શ્રી શ્રી રવિશંકરજી કહે છે,”ધ્યાન તમને આરામ આપે છે, સૌથી ગાઢ  નિદ્રા કરતાં પણ વધારે.” ૨૦ મિનીટનું ધ્યાન ૮ કલાકની વ્યવસ્થિત નિદ્રા બરાબર છે.

#3 અસીમિત આરામ

જયારે આપણે સામાન્ય રીતે નિદ્રા લેતા હોઈએ તેના કરતાં વધારે નિદ્રા લઈએ તો શું થાય છે? આપણને આળસ અને સુસ્તી લાગે છે. આદર્શ રીતે રોજ ૬-૮ કલાકની નિદ્રા લેવી જોઈએ.નિદ્રામાં વધારો કે ઘટાડો તણાવ અને અસંતુલન પેદા કરે છે.પરંતુ ધ્યાનની આવી કોઈ આડઅસરો નથી. ઉપરાંત, પ્રગાઢ અનુભવ મેળવવા આપણે આખો દિવસ ધ્યાન કરવાનું નથી હોતું. સામાન્ય રીતે દિવસમાં ૨ વાર ૨૦ મિનીટ માટે ધ્યાન કરવું પુરતું છે.

#4 એક અસરકારક પૂરક

ધ્યાન નિદ્રાનો વિકલ્પ ન હોવા છતાં તમારી નિદ્રાની ગુણવત્તા સુધારે છે. નિદ્રા અને ધ્યાન બંને અગત્યના છે. હકીકતમાં  ધ્યાન નિદ્રા માટે પૂરક છે. રોજ ધ્યાન કરવાથી આપણને વધારે ગાઢ તથા આરામદાયક નિદ્રાનો અનુભવ થાય છે. જો તમે રાત્રે અનિદ્રાથી પીડાતા હો તો નિયમિત ધ્યાનનો મહાવરો અનિદ્દ્રાની સારવારમાટે ઉતમ સાબિત થઇ શકે છે. .

#5 ચયાપચયને ધીમું પાડે છે

નિદ્રા અને ધ્યાન બંન્ને દરમ્યાન ચયાપચયની ક્રિયા ઓછી થાય છે. ઓછું ચયાપચય મનને શાંત અવસ્થામાં રહેવા દે છે.

#6 જાગૃત ચેતના

ચેતનાની ચાર અવસ્થાઓ હોય છે—જાગૃત,નિદ્રા,સ્વપ્ન અને ધ્યાન. નિદ્રા દરમ્યાન આપણને સારો આરામ મળે છે.પણ આપણે સજાગ નથી હોતા.આપણે જયારે ઉઠીએ છીએ ત્યારે જ તાજગીનો અનુભવ થાય છે, પરંતુ આપણે નિદ્રામાં હતા ત્યારે શું થયું તે કંઈ યાદ આવતું નથી.પરંતુ, ધ્યાન એટલે સજાગ રહીને વિશ્રામમાં હોવું.

શ્રી શ્રી રવિશંકરજી કહે છે,”જાગૃત અવસ્થા અને નિદ્રા સૂર્યોદય તથા અંધકાર જેવા છે. સ્વપ્ન તે બંન્ને વચ્ચેના મંદપ્રકાશમય ગાળા જેવું છે. અને ધ્યાન બહારના અવકાશ તરફની ઉડાન જેવું છે, જ્યાં સૂર્યોદય કે સૂર્યાસ્ત જેવું કંઈ નથી!”

#7 તમારા મનને મુક્ત કરો

નિદ્રા અને ધ્યાન બન્ને આપણને તરોતાજા કરે છે. પરંતુ ધ્યાન આપણને ભૂતકાળની અસરોમાંથી મુક્ત કરે છે. ધ્યાનના નિયમિત મહાવરાથી આપણે આપણા મનમાં વર્ષોથી ભરેલા ભાવનાત્મક કચરાને દૂર કરીને  કાયાકલ્પ થયાનો અનુભવ કરીએ છીએ.

#8 પસંદગી માટેની સ્વતંત્રતા

નિદ્રાધીન થવા આપણે પસંદગી નથી કરી શકતા, જ્યારે ઊંઘ આવે ત્યારે જ ઊંઘી શકીએ છીએ.પરંતુ આપણી જયારે પણ ઈચ્છા થાય ત્યારે ધ્યાન  કરી શકીએ છીએ. દિવસમાં ગમે ત્યારે કરી શકીએ છીએ, પરંતુ સવારનો સમય વધુ યોગ્ય છે. 

હવે જ્યારે આપણે  એવું જાણીએ છીએ કે આપણે પસંદગી કરીને ઊંડો આરામ, સંપૂર્ણ સજાગતા તથા આપણી આંતરિક અનંત ઊર્જાના સ્રોત પર નિયંત્રણ મેળવી શકીએ છીએ, તો હવે કોઈ  પણ વિલંબ વગર ધ્યાન કરવાનું પસંદ કરીએ એ સમય આવી ગયો છે!

શ્રી શ્રી રવિશંકરજીની  જ્ઞાન વાણી પરથી પ્રેરિત

ધ્યાન એ નિદ્રાનો વિકલ્પ નથી.નિદ્રા અને  ધ્યાન બંન્નેના પોતાના ફાયદા છે. જો નિયમિત કરવામાં આવે છે તો ધ્યાન તમારી નિદ્રાની ગુણવત્તા સુધારી શકે છે.