ધ્યાન

ધ્યાન એટલે ગહન વિશ્રામ!

ધ્યાન શું છે?

ધ્યાન એટલે સજગતા સાથે ઊંડો આરામ કરવાનો માર્ગ! આપણા મનને શાંત કરીને આપણી‌ અંદરની આનંદની અવસ્થા સાથે જોડાવાનું કૌશલ્ય. ધ્યાન એટલે બધાં જ પ્રયત્ન છોડી ને, કશું જ નહીં કરવાની નાજુક કળા, જેના દ્વારા આપણે પ્રેમ, આનંદ અને શાંતિ સ્વરૂપ આપણા આત્મસ્વભવમાં વિશ્રામ કરીએ. ધ્યાનનો નિયમિત અભ્યાસ આપણને ખૂબ ઊંડો વિશ્રામ આપે છે. વર્તમાન સમયમાં, તણાવ ઓછો કરીને મનની સ્વસ્થતા જાળવવી એ ખૂબ આવશ્યક છે.

ધ્યાન એ ધ્વનિથી મૌન,હલનચલનથી સ્થિરતા તરફની યાત્રા છે.ધ્યાન એ આત્મા માટે ખોરાક છે.

- ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકરજી

ધ્યાનના ફાયદા

ધ્યાનના અનેક ફાયદા છે - શાંત મન,એકાગ્ર ચિત્ત,મનને કેન્દ્રિત કરવાની ક્ષમતા,માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સંતુલન,વાતચીત કરવાની કળામાં નિપૂણતા,નવા કૌશલ્યો અને ક્ષમતાઓનો અવિર્ભાવ,સ્વાસ્થ્યનું પુનઃસ્થાપન,વિશ્રામ,કાયાકલ્પ,અને સારા ભાગ્યને આકર્ષવાની ક્ષમતા પણ!

icon

જૈવિક ઊર્જામાં વૃધ્ધિ

ધ્યાન આપણી આસપાસ સકારાત્મક અને સંવાદિત ઊર્જા ઉત્પન્ન કરે છે.

icon

સ્વાસ્થ્યમાં વૃધ્ધિ

ધ્યાન ઊંચા રક્તચાપ,મધુપ્રમેહ,હ્રદયની સમસ્યાઓ,ત્વચાની સમસ્યાઓ, ચેતાતંત્રની સમસ્યાઓ અને અન્ય અનેક સમસ્યાઓમાં સહાયરૂપ છે.

icon

ઉન્નત મનોભાવ

ધ્યાન મનોભાવને ખુશ રાખવામાં સહાય કરી શકે છે.તે અનેક શારીરિક અને માનસિક વ્યાધિઓને અટકાવવામાં મોટો ભાગ ભજવે છે.

શિખાઉ (પ્રારંભ કરનારાઓ) માટે ધ્યાન

ધ્યાન કરવું એ શ્વાસોચ્છવાસ જેટલું સહેલું છે.તેને માટે તમારે પર્વતો પર જઈને પોતાને અલાયદા કરી દેવાની જરૂર નથી.તે એક ક્રિયાશીલ પ્રક્રિયા છે જેને તમારા રોજિંદા જીવનમાં સહેલાઈથી અપનાવી શકો છો.ધ્યાનના અનેકવિધ પ્રકારોમાંથી તમે કોઈ પણ પસંદ કરી શકો છો-તે બધા તમને અનાયાસે વર્તમાન ક્ષણમાં રહેવામાં સહાય કરે છે.

હકીકતમાં ઘણા લોકોનો પહેલી જ વખત ધ્યાન કરવાનો અનુભવ એટલો અદ્ભુત રહ્યો હોય છે કે તેઓને તેને શબ્દોમાં વ્યક્ત કરવાનું અઘરું લાગે છે. તમે ધ્યાન કરવાનું શીખીને જેમ જેમ તેને નિયમિત રીતે,દિવસમાં એક કે આદર્શ રીતે બે વાર, કરો છો તો તમે આંતરિક અને બાહ્ય બન્ને રીતનું પરિવર્તન અનુભવી શકો છો.આ પરિવર્તન એટલી હદે હોઈ શકે છે કે તમારી આસપાસના લોકો પણ તમે જે ઉત્તમ ઊર્જામાં હોવ છો તેની નોંધ લે છે.માટે,દરેક વ્યક્તિએ તનાવમુક્ત અને સુખી જીવન માટે દરરોજ થોડી મીનીટો માટે ધ્યાન કરવું જોઈએ.

મારે આ કોર્સ કરવો છે પણ...

મારું મન સર્વત્ર ભટકે છે. ધ્યાન કેવી રીતે કરવું?

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર: - એક લાકડી લો અને તમારા મનનો પીછો કરો. તે ક્યાં જાય છે તે જુઓ. પીછો કરતા રહો અને તમે જોશો કે તમારું મન એટલું થાકી જશે કે તે આવીને તમને દંડવત પ્રણામ કરશે. એટલે કે મનમાં જે વિચારો આવતા હોય એના પર ધ્યાન લઈ જાવ, વિચારો પર જ ધ્યાન કેન્દ્રિત કરતા રહેવાથી મન થાકીને વિચારરહિત અવસ્થામાં પહોંચે છે. મહર્ષિ પતંજલિ કહે છે કે દરેક વસ્તુ પર ધ્યાન કરો, જુદા જુદા તત્ત્વોનું ધ્યાન કરો, એવા ઋષિઓનું ધ્યાન કરો, જેઓ માયારહિત છે. જ્યારે આપણે માયારહિત ઋષિઓનું ધ્યાન કરીએ છીએ, ત્યારે આપણે પણ ઊંડા ધ્યાન માં સરી જઈએ છીએ. આપણે જ્યારે સત્સંગ કરીએ ત્યારે પણ ધ્યાન માં સરી જઈએ છીએ. પરંતુ જો આપણે સત્સંગમાં પૂરા મનથી ન જોડાઈએ, તો પછી આપણે આજુબાજુ જોઈએ, છત તરફ જોયા કરીએ છીએ. આપણે સત્સંગમા હૃદયપૂર્વક, ભાવપૂર્વક જોડાવું જોઈએ. અને એ માટે તમારે જાતે જ રસ લેવો પડશે. સત્સંગમાં અમૃતરસ પહેલેથી જ છે, જે પોતે રસ લે છે, તેમને હું કહું છું કે તમારે હવે બીજું કંઈ પણ કરવાની જરૂર નથી, આ જ્યોતિ તમારા માટે જ પ્રજ્વલિત છે, અને તમારે તેને પ્રગટાવવાની કોઈ જ જરૂર નથી. આપણે જ્યારે ગંગામાં ડૂબકી મારતા હોઇએ ત્યારે નળ કે સ્નાન કરવાની શી જરૂર છે?બસ, સહજ બની રહો, સરળ બની રહો, ત્યારે એટલું યાદ રાખવું કે આ ક્ષણે "હું કોઈ નથી" અને "મારે કંઈ જોઈતું નથી." પણ જોજો પાછા, એમ સતત વિચારવાનું પણ નથી, એ પણ એક માયા છે. તેથી જ આદિ શંકરાચાર્ય કહે છે કે હું કંઇ જ નથી, "હું શૂન્ય છું" એવું વિચારતાં રહેવું તે પણ મૂર્ખતા છે.

આ વિચારો શા માટે અને ક્યાંથી આવે છે? આ વિચારો આપણા મન પર શાસન કેમ કરે છે?

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર: આ વિચારો મન કે શરીરમાંથી- ક્યાંથી આવે છે? તમારી આંખો બંધ કરો અને તેના વિશે વિચારો. એ વિશે વિચારવા ની પ્રક્રિયા જ સ્વયં એક ધ્યાન બની જશે. આપણી ભીતર એવી અવસ્થામાં કે સ્થાન પર પહોંચી જઈશું કે જે આ બધા જ વિચારોનું ઉદભવસ્થાન બિંદુ છે. અને આ અવસ્થા ખૂબ આલ્હાદક છે.

આપણા ધ્યાનના અનુભવને વધુ સારો કેવી રીતે બનાવી શકાય?

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર: જો તમને ધ્યાનની સુંદર અનુભૂતિ ના થતી હોય તો સેવા કરો, વધુ સેવા કરો, સેવાથી યોગ્યતા પ્રાપ્ત થશે અને ધ્યાન વધુ ઊંડું થશે. તમે જ્યારે લોકોને સેવા દ્વારા કંઈપણ રાહત આપો અને એમને જ્યારે દુઃખમુકિત મળે, ત્યારે એમના થકી તમને ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ મળે છે. એમના આનંદભર્યા સ્પંદનો આપણા ધ્યાનની અનુભૂતિ ને ઊંડી કરે છે. આવું ધ્યાન તમારાં સ્મિતને પાછું લાવે છે અને આપણને ધ્યાન દ્વારા થતાં સુંદર ફાયદાઓ મળે છે.

હું હંમેશા ધ્યાન કરતી વખતે ઊંઘી જાઉં છું. શું બધાંની સાથે આમ જ બને છે? તેમનો અનુભવ કેવો છે? આનો ઉપાય શું?

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર: બીજાના અનુભવોની ચિંતા તમે ના કરશો. તમે તમારા પોતાના અનુભવની સાથે રહો. તમારા પોતાના અનુભવ પણ સમય સમયે બદલાય છે. તેથી કંઇ ચિંતા કરશો નહીં. ધ્યાનની પ્રક્રિયા શ્રેષ્ઠ રીતે શરીરને આરામ આપે છે.

ઊંઘ અને ધ્યાન વચ્ચે શું તફાવત છે?

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર: એક સમક્ષિતિજ(હોરિઝોન્ટલ) સ્થિતિ છે અને બીજી શિરોલંબ(વર્ટિકલ)! હાલ પૂરતું, ફક્ત એટલું જ વિચારો. પરંતુ આવતીકાલે જ્યારે તમે ધ્યાન કરવા બેસો ત્યારે પાછું તેના વિશે વિચારશો નહીં. તમે ન તો ધ્યાન કરી શકશો કે ન તો ઊંઘી શકશો. આ ક્ષણ જ સમય છે.

જ્યારે હું ધ્યાન કરવા બેસું ત્યારે જૂની યાદો મને કેમ પરેશાન કરે છે?

ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર: કોઈ વાંધો નહી! મન પર લેશો નહીં! તેમને આવવા દો! જૂની યાદોને કહો કે "આવ! મારી પાસે બેસ! ૫ વર્ષ જૂની, ૧૦ વર્ષ જૂની કે ૨૦ વર્ષ જૂની યાદો, આવો, મારી પાસે બેસો!" આપણે જેટલું તેનાથી ભાગવાનો પ્રયાસ કરીએ એટલી તે આપણને વધુ પરેશાન કરે છે.